જમીનની માહિતી
મુખ્ય પૃષ્

પ્રશ્‍ન:

ખેડૂતોએ તેમની જમીનનું ભૌતિક તેમજ રાસાયણિક બંધારણ જાણવા શું કરવું?

જવાબ:

ખેડૂતોએ ઉનાળામાં પાક લીધા બાદ જમીનનું પૃથ્થકરણ કરાવવા સ્થાનિક ગ્રામ સેવકનો સંપર્ક સાધી જમીનની પ્રત તેમજ રાસાયણિક તત્વોને આધારે ખરીફ ઋતુના પાકોની વાવણી માટેનું પાક આયોજન કરવું.

 

 

પ્રશ્‍ન:

ખેડૂતોએ તેમના હસ્તકની પડતર, ખરાબા જેવી જમીન તેમજ હલકી શેઢાપાળાની જમીનનો ઉપયોગ કેવી રીતે કરવો?

જવાબ:

આવી જમીનમાં જેટ્રોફા (રત્ન જ્યોત)નો બાયો ફયુઅલ પ્લાન્ટનું વાવેતર કરી પુરક આવક પેદા કરી શકાય.

 

 

પ્રશ્‍ન:

સોઈલ હેલ્થ કાર્ડ આધારિત ખેતીથી ખેડૂતોને શો ફાયદો થાય છે?

જવાબ:

જમીનમાં જુદા જુદા પાકોનું વાવેતર થતાં તેમાંથી જરૂરી પોષક તત્વો વપરાતા જમીન રસકસ વગરની બિન ઉપજાવ બનતી હોય છે. જેને ફરીથી ફળદ્રુપ બનાવવા જરૂરી તત્વો કયાં કયાં અને કેટલાં પ્રમાણમાં નાંખવા/ઉમેરવા તે જાણી શકાય. જેથી બિનજરૂરી ખાતરના વપરાશ ઘટતાં ખર્ચ ઘટાડી શકાય છે.

પ્રશ્‍ન:

જમીનનો નમુનો કેવી રીતે લેવો જોઈએ?

જવાબ:

આખા ખેતરનું પ્રતિનિધિત્વ ધરાવે તે રીતે ખેતરની વચ્ચે એક કાલ્પનિક રેખા દોરી તેની બગે બાજુએ સર્પાકારે જુદી જુદી 10 થી 12 જગ્યા નકકી કરી પાવડા અથવા ત્રિકમથી અડધો ફુટથી પોણા ફુટની ઉંડાઈના (25 સે.મી.) આશરે વી આકારના ખાડા કરી તેની માટી એક ખાડામાં એકત્ર કરી તેના ચાર ભાગ કરી સામસામા બે ભાગ કાઢી નાંખવા. આમ દરેક વખતે કરતા જવું. જયાં સુધી 500 ગ્રામ જેટલો માટીનો નમુનો રહે. આ નમુનો કાપડની થેલીમાં ભરી તેમાં એક કાપલી મુકવી. જેમાં ખેડૂતનું નામ, ગામ, સર્વેનંબર, લેવાનો પાક વગેરેની માહિતી હોય. ત્યારબાદ થેલી બંધ કરી તેના પર પણ નામ, ગામ, સર્વેનંબર લખી પ્રયોગશાળાને મોકલવા.

પ્રશ્‍ન: નમુનો લેતી વખતે શું કાળજી રાખવી?
જવાબ:

(1) નમુનો લેવાનાં સાધનો, કાપડની થેલી વગેરે સ્વચ્છ હોવા જોઈએ.

(2) પસંદ કરેલ જગ્યા શેઢો, વાડ, પાણીનો ઢાળીયો, પગરસ્તો, ગાડારસ્તો, ખાતરનો ઢગલો કે છાંયડાથી 10 ફુટ દુર હોવી જોઈએ.

(3) માટીનો નમુનો ભીનો ન હોવો જોઈએ. સંજોગોવસાત ભીનો નમુનો હોય તો તેને છાંયડે રાખી સુકવી કોથળીમાં ભરવો.

(4) ખાતર નાખ્યા પછી નમુનો ન લેવો.

(5) શકય હોય તો વાવણીના બે માસ પહેલાં નમુનો મોકલવો.

પ્રશ્‍ન: જમીન બગડે છે તે કેટલી રીતે બગડે છે?
જવાબ:

જમીન બગડેલ હોય તેના બે પ્રકાર છે.

(1) ક્ષારીય

(2) ભાસ્મિક

પ્રશ્‍ન: ક્ષારીય જમીન કેવી રીતે ઓળખી શકાય?
જવાબ:

1.              દ્રાવ્યક્ષારો જમીનની સપાટી પર આવી સફેદ અથવા કાળુ પડ બનાવે છે.

2.              જમીન ભીની હોય ત્યારે ચીકણી અને સુકાય ત્યારે કઠણ બને છે. જે ખેડતાં ઢેફાં પડે છે.

3.              જમીનની નિતારશકિત ઘટે છે.

4.              સુક્ષ્મ જીવાણુની કામગીરી અટકી પડે છે.

5.              જમીનમાં રહેલ પોષકતત્વો અલભ્ય રૂપમાં ફેરવાઈ જતાં હોવાથી પાકને સહેલાઈથી મળી શકતાં નથી.

6.              જમીનમાં હવા-પાણીની હેરફેર બરાબર થઈ શકતી નથી.

7.              પાકના મુળના વિસ્તારમાં ક્ષારોનું પ્રમાણ વધવાથી રસાકર્ષણ દાબ વધે છે. જેથી છોડમાં રહેલ રસ પાછો જમીનમાં ખેંચાઈ આવે છે.

8.              ખારી જમીનમાં પાક પીળો, નિસ્તેજ, ફ્રુટ વિનાનો જોવા મળે છે.

પ્રશ્‍ન: ક્ષારીય જમીન કેવી રીતે સુધારી શકાય?
જવાબ:

ક્ષારીય જમીનમાં વધારે ક્ષારો હોવાથી સારી ગુણવત્તાવાળા પાણીથી અથવા વરસાદના પાણીથી નિતાર દ્વારા દૂર કરવા પડે છે. જો નિતાર માટેનું પાણી ખૂબજ ઓછા ક્ષારવાળુ હોય અને જમીનની નિતાર ક્ષમતા સારી હોય તો જમીન સુધારણા ઝડપી થઈ શકે.

1.        જમીનની સપાટી પર જમા થયેલ ક્ષારોની પોપડી એકઠી કરી ખેતરની બહાર કાઢી તેનો યોગ્ય નિકાલ કરવો.

2.        જમીનને સમતળ બનાવી નાની નાની કયારીઓ બનાવો.

3.     પાણી આપવાના ઢાળીયા ખેતરના ઢાળને કાટખૂણે બનાવી તેને નિતાર નીક સાથે જોડવા જેથી વધારાનું પાણી નિતાર નીક ધ્વારા નિકળી શકે. દરેક વિભાજીત પ્લોટને પિયતનું પાણી બે પ્લોટ વચ્ચેના સીધા ઢાળીયા ધ્વારા જ આપવું. કોઇપણ સંજોગોમાં એક પ્લોટમાંથી બીજા પ્લોટમાં પાણી ન જાય તેની કાળજી લેવી.

4.        ઉનાળાની શરૂઆતમાં કયારીઓમાં સારું પાણી ભરી રાખો જેથી ક્ષાર નિતાર ધ્વારા અંદર ઉંડો ઉતરી જશે.

5.        નિતારની કામગીરી દરમ્યાન પણ ક્ષારની માત્રા પ્રમાણે યોગ્ય પાકની પસંદગી કરી પાક ઉગાડી શકાય છે.

પ્રશ્‍ન: ભાસ્મિક જમીનની સુધારણા કેવી રીતે કરવી?
જવાબ:

ભાસ્મિક જમીનોમાં વિનિમય પામતા સોડીયમને કેલ્શયમ વડે વિસ્થાપિત કરી નિતાર

ધ્વારા સોડીયમને દુર કરવામાં આવે છે.

1.        જમીનને સમતળ બનાવી નાની નાની કયારીઓ બનાવો.

2.        જમીનનું પૃથ્થકરણ કરાવી જીપ્સમની જરૂરિયાત નકકી થાય તેનો અડધો જથ્થો નાખવો.

3.        જીપ્સમને જમીનમાં 10 સે.મી. ઉંડાઈ સુધી મિશ્ર કરવું.

4.        જીપ્સમની અવેજીમાં ગંધક પ્રાયરાઈટ, ડેરીમાં વપરાયેલ સલ્ફયુરીક એસીડ, પ્રેસ મડ પણ વાપરી શકાય છે.

5.        સેંન્દ્રિય ખાતરો, છાણીયું ખાતર, પ્રેસમડ, લીલો પડવાસ શકય હોય તેટલું વધારે નાંખવું.

6.        કયારીઓમાં સારૂ પાણી ભરી રાખો એટલે સોડીયમ છુટો પડી ઉંડે ઉતરી જાય.

7.        આ સુધારણા દરમ્યાન ભાસ્મિકતાની માત્રા પ્રમાણે યોગ્ય પાકો પસંદ કરી ઉગાડો. ડાંગરનો પાક સારો અનુકુળ છે.

પ્રશ્‍ન: ભાસ્મિકતા સંવેદનશીલ અને પ્રતિકારક પાકોની માહિતી આપશો?
જવાબ:
ભાસ્મિકતા પ્રતિકારક પાકો મધ્યમ પ્રતિકારક પાકો સંવેદનશીલ પાકો
ડાંગર, બીટ ઘઉં, જવ, ઓટ, રાઈ, શેરડી, કપાસ, બાજરી ચોળી, ચણા, મગ, મગફળી, વટાણા, મકાઈ, કપાસ (ઉગાવા સમયે)

પ્રશ્‍ન:

pH એટલે શું? તે વધારે છે કે ઓછો છે તે કેવી રીતે જાણી શકાય?

જવાબ:

pH એટલે જમીનમાં હાઈડ્રોજન, આયર્નની પોટેન્સાલીટી. 6.5 થી 8.2 pH એટલે તંદુરસ્ત જમીન. આવા pH વાળી જમીનમાં છોડ દરેક પોષક દ્રવ્યો સરળતાથી લઈ શકે છે. જમીન તથા પાણીનો pH આંક પ્રયોગશાળામાં પી.એચ. મીટરની મદદથી જાણી શકાય છે.

 

 

પ્રશ્‍ન:

ઓછા કે વધારે pH વાળી જમીન કે જે બગડેલ હોય તેને કેવી રીતે સુધારવી?

જવાબ:

ઓછા પી.એચ.વાળી જમીન એટલેકે એસીડીક જમીન. આવી જમીન આહવા-ડાંગ જેવા ગાઢ જંગલની હોય છે. જેનો pH આંક 6.5 થી નીચો હોઈ શકે. તેને સુધારવા માટે જમીનમાં ચુનો ઉમેરવો. વધારે પી.એચ. આંક એટલે કે જેનો પી.એચ. આંક 8.2 કરતાં વધારે હોય તેમાં જીપ્સમ ઉમેરી જમીન સુધારી શકાય છે. જીપ્સમ જમીનમાં 10 સે.મી. જેટલી ઉંડાઈએ મિશ્ર કરવું.

પ્રશ્‍ન:

નમુનો કેવી રીતે મોકલવો?

જવાબ:

નમુનો ખેડૂત પોતે લઈ જે તે પ્રયોગશાળાને મોકલાવી શકે છે અથવા ગ્રામસેવક દ્વારા પ્રયોગશાળાને પહોંચાડી શકાય છે.

 

 

પ્રશ્‍ન:

નમુનામાંથી કયા કયા તત્વો શોધવામાં આવે છે?

જવાબ:

જમીનના નમુનામાંથી પી.એચ., ઈ.સી., લભ્ય ફોસ્ફરસ, લભ્ય પોટાશ, સેન્દ્રિય કાર્બન વગેરે કાઢવામાં આવે છે.

પ્રશ્‍ન:

પ્રયોગશાળામાં જમીનચકાસણી, સુક્ષ્મતત્વો ચકાસણી તથા પાણી ચકાસણી મફત કરી આપવામાં આવે છે કે તેની ફી હોય છે?

જવાબ:

સરકારશ્રી તરફથી જમીન ચકાસણીની ફી રૂા.15/-, સુક્ષ્મતત્વો ચકાસણીની ફી રૂા.15/- તથા પાણી ચકાસણીની ફી રૂા.15/- રાખેલ છે. જેને ચલન દ્વારા જમા કરવવાની હોય છે.

 

 

પ્રશ્‍ન:

ચકાસણી અંગેની ફી ચલન દ્વારા ભરવાની હોય છે તેનું ચલન હેડ કયું છે?

જવાબ:

ચકાસણી અંગેની ફી સરકારી ચલનથી બેંકમાં ભરવાની હોય છે. જેનું ચલન હેડ- 0401-પાક કૃષિવ્યવસ્થા
આર્થિક વ્યવસ્થા
800 અન્ય પ્રાપ્તિ
જમીન ચકાસણી ફી / સુક્ષ્મતત્વો ચકાસણીની ફી / પાણી ચકાસણીની ફી
આ ચલન જે તે પ્રયોગશાળામાંથી ભરી આપવામાં આવે છે.